વૈશ્વિક આરોગ્ય એજન્સીએ શ્રીસન ફાર્માના કોલ્ડ્રિફ (Coldrif), રેડનેક્સ ફાર્માના રેસ્પિફ્રેશ TR (RespifreshTR) અને શેપ ફાર્માના રીલાઇફ (ReLife) સિરપના ચોક્કસ બેચને ભેળસેળયુક્ત તરીકે ગણાવ્યા છે. રોઇટર્સ ન્યૂઝ એજન્સી અનુસાર, WHO જણાવ્યું કે, આ સિરપ આરોગ્ય માટે નોંધપાત્ર જોખમ ઊભું કરે છે અને ગંભીર અને જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે.
તપાસમાં આ કફ સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલ (DEG) નામના ઝેરી રસાયણનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું છે. આ રંગહીન અને ગંધહીન રસાયણનો ઉપયોગ સિરપને મીઠી બનાવવા માટે થાય છે. જોકે, તેનો ઉપોયગ માનવ વપરાશ માટે કરી શકાય નહીં.
ભારતમાં પહેલેથી જ પ્રતિબંધિત
ઉલ્લેખનીય છે કે, WHO ની આ ચેતવણી પહેલા ભારતમાં આ ત્રણ સિરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ પણ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ને જાણ કરી હતી કે, ત્રણેય સિરપને તમામ મેડિકલ સ્ટોર્સમાંથી પાછા ખેંચી લેવામાં આવી છે અને ઉત્પાદકોને તેમનું ઉત્પાદન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બુધવારે અગાઉ, CDSCO એ WHO ને જાણ કરી હતી કે, આમાંથી કોઈ પણ કફ સિરપ ભારતમાંથી અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવી નથી.
ભારત સરકારે ગાઈડલાઈન જાહેર કરી
CDSCO એ વધુમાં જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં મૃત્યુ પામેલા બાળકો 5 વર્ષથી ઓછી ઉંમરના હતા, જેમણે કોલ્ડ્રિફ સિરપ પીવડાવવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, સિરપમાં માન્ય મર્યાદા કરતાં 500 ટકા વધુ ડાયથિલિન ગ્લાયકોલ હતું. જોકે, ભારત સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં તેમને કફ સિરપ લખતા પહેલા સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે, અને એ પણ કહેવામાં આવ્યું છે કે, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સામાન્ય રીતે સૂચવવામાં ન આવતા સિરપ કોઈપણ કિંમતે 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ન આપવા જોઈએ.